સરકારી કર્મચારીઓ માટે ખુશખબર : રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું 2% વધાર્યું, ત્રણ માસનું એરિયર્સ એપ્રિલના પગારમાં જ મળી જશે.

ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓને ખુશખબર આપ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓને 53% ડીએ મળે છે. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારીઓ અને 4.81 લાખ પેન્શનર્સને લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જાન્યુઆરી, 2025થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.235 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.946 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે. આ નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આ પહેલા કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025મા કેન્દ્ર પોતાના કર્મચારીઓને વધારો આપ્યો હતો. રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ 53% ડીએ મળે છે, હવેથી 53ના બદલે હવે રાજ્યના કર્મચારીઓને 55 ટકા DA મળશે. જોકે, વધારેલું DA ક્યારથી લાગુ થશે તે અંગે સત્તાવાર જાહેરાતમાં ખબર પડશે.

આ પ્રકારના કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થાનો લાભ

  • આ હુકમ જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિનસરકારી શાળાઓ/સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલો છે તેવા કર્મચારીઓને લાગુ પડશે.
  • આ મોંઘવારી ભથ્થાનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલા કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને સાતમા પગારપંચ મુજબ પગારસુધારણા મંજૂર કરવામાં આવ્યો છે તેમને મળવાપાત્ર થશે.
  • પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના કારણે અને બિનસરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતો ખર્ચ, આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતો ખર્ચ એ શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ.
  • રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર, મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમા પગારપંચ મુજબ પગાર સુધારણા થયો છે તેમને મળવાપાત્ર થશે.
  • આ નિર્ણય અખિલ ભારતીય સેવા (A.I.S.) અધિકારીઓને પણ લાગુ પડશે.

મોંઘવારી ભથ્થું શું છે? મોંઘવારી ભથ્થું એવું નાણું છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને એની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગારધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.

મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે છે? મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે (છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ – 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ, તો એની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100