પાક.માં પ્રેમલગ્ન ને પુત્ર જન્મ, દીકરો પણ પિતા બની ગયો:25 વર્ષ પછી IB-પોલીસ જાગ્યા, વિઝા વિના રાજકોટમાં રહેતી રિઝવાનાની પુત્ર-પૌત્ર સાથે અટકાયત

22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત બાદ દેશરભરમાં ઉઠેલો આક્રોશ જોઈ સરકાર દ્વારા પાકિસ્તાની સામે કડક કાર્યવાહી શરૂ કરી.કેન્દ્ર સરકારની સૂચના બાદ રાજ્યભરમાં પોલીસે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. જેને પગલે 3મેના રોજ રાજકોટમાંથી 3 પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસે પાકિસ્તાની મહિલા રિઝવાના તેના પુત્ર ઝીશાન અને બે વર્ષના સગીર પૌત્રની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ પાકિસ્તાની પરિવાર છેલ્લા 25 વર્ષથી રાજકોટ જિલ્લાના લોધીકામાં રહેતો હોવાનું સામે આવ્યું છે.

હાલ લોધીકામાં રહેતા મુનાફ ટાટરીયાએ 1992માં કરાચી ગયા અને ત્યાં પ્રેમ થઈ જતા રિઝવાના સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ મુનાફ ફરી 1994માં પાકિસ્તાન ગયો, જ્યાં રિઝવાના અને મુનાફ ઝીશાન નામના દીકરાના માતા-પિતા બન્યા. જ્યારે ઝીશાનનો દીકરો પણ 2021માં લોધીકામાં લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયો છે અને તેમને પણ એક સંતાન છે. આમ 25 વર્ષથી આઈબી અને પોલીસ આ બાબતે ઉંઘતી રહી હતી.

રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવા મળેલ સૂચના આધારે રાજકોટ ગ્રામ્ય LCB ટીમ કાર્યરત હતી. આ દરમિયાન પીઆઇ વી.વી.ઓડેદરા અને ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે લોધીકા ગામે પાકિસ્તાની પરિવાર રહે છે, જેની પાસે પરમીટ કે વિઝા ઉપલબ્ધ નથી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક લોધીકા પોલીસ સ્ટેશન ટીમને સાથે રાખી તપાસ કરતા રિઝવાનાબેન મુનાફભાઇ ટાટારીયા (ઉ.વ.50), તેનો પુત્ર ઝીશાન મુનાફભાઇ ટાટારીયા (ઉ.વ.29) અને તેનો સગીર વયનો પુત્ર મળી આવ્યા હતા, જેમના પાકિસ્તાની પાસપોર્ટ પોલીસને મળી આવ્યા હતા. જોકે, કોઈ પરમીટ કે વિઝા ન મળી આવતા તેમની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં રિઝવાનાના રહસ્યમય રાઝ સામે આવ્યા હતા અને તેની શરૂઆત પણ પ્રેમથી થવા પામી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ રિઝવાના મૂળ કરાચી પાકિસ્તાનના લિયારી વિસ્તારની રહેવાસી છે, જે પોતે પાકિસ્તાનમાં જ રહેતી હતી અને તેનો જન્મ 1975માં થયો હતો. વર્ષ 1992માં મુનાફભાઈ ઇબ્રાહિમભાઈ ટાટારીયા વર્ક પરમીટ પર કરાચી પાકિસ્તાન ગયા હતા. આ દરમિયાન મુનાફભાઇની આંખ રિઝવાના સાથે મળી જતા તેઓએ કરાચી પાકિસ્તાનમાં જ લગ્ન કર્યા હતા.

લગ્ન કરી પાકિસ્તાનમાં દીકરાને જન્મ આપ્યો મુનાફ ઇબ્રાહિમભાઈ ટાટારીયા શોર્ટ ટર્મ વિઝા હોવાથી 1994માં તે પરત પાકિસ્તાનથી ભારત ફર્યા હતા અને ત્યારબાદ તેઓ ફરી શોર્ટ ટર્મ વિઝા મેળવી પાકિસ્તાન ગયા હતા. આ પછી રિઝવાના અને મુનાફભાઈએ પાકિસ્તાનમાં દીકરાને જન્મ આપ્યો હતો. શોર્ટ ટર્મ વિઝા હોવાથી મુનાફભાઇ પરત ભારત ફરી ગયા હતા અને બાદમાં રિઝવાનાબેનના પાસપોર્ટ માટે પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી.

વર્ષ 1998માં રિઝવાનાબેનનો પાસપોર્ટ તૈયાર કરવામાંઆવ્યો હતો અને આ પાસપોર્ટમાં તેમના પતિ તરીકે રાજકોટના લોધિકાના રહેવાસી મુનાફભાઇનું નામ દર્શાવવામાં આવ્યું હતું અને તેની સાથે બાળકમાં તેમના પુત્ર ઝીશાનનું નામ ઉમેરવામાં આવ્યું હતું. જે પાસપોર્ટ બનાવવામાં આવ્યો વર્ષ 1998માં તે રિઝવાનાના પાસપોર્ટ નંબર G693933 છે અને તેના આધારે તે 30.07.1999ના રોજ 60 દિવસના શોર્ટ ટર્મ વિઝા મારફત તેઓ રાજકોટ આવ્યા હતા અને પછી વિઝા પૂર્ણ થતા પરત પાકિસ્તાન ફરવાના બદલે રાજકોટ જિલ્લાના લોધીકામાં રહેવા લાગ્યા હતા.

તેઓ છેલ્લા 27 વર્ષથી રાજકોટના લોધીકામાં રહે છે અને તેમને સંતાનમાં એક દીકરી પણ હોવાનું સામે આવ્યું છે જે ભારતીય નાગરિત્વ ધરાવે છે. જયારે પુત્ર ઝીશાનએ ભારતીય મહિલા સાથે વર્ષ 2021માં લગ્ન કર્યા હતા જેના થકી તેને સંતાનમાં એક દીકરો છે જેનો જન્મ 10.09.2022ના રોજ થયો હતો જેની ઉંમર હાલ 2 વર્ષ છે.

રાજકોટના લોધીકામાં રહેતા ટાટારીયા પરિવારની પોલીસે કરેલ તપાસમાં મુનાફભાઇ તેમની દીકરી અને તેમની પુત્રવધુને બાદ કરતા તેમની પત્ની રિઝવાના પુત્ર ઝીશાન અને સગીર વયનો પુત્ર પાકિસ્તાની નાગરિક હોવાનું સામે આવતા પોલીસે ત્રણેયને નજરકેદ રાખી પુછપરછ હાથ ધરી છે. ત્યારે હવે પાકિસ્તાની નાગરિકોની પુછપરછ અંગે શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે પરંતુ, અહીં સૌથી મોટો સવાલ એ છે કે છેલ્લા 25 વર્ષથી પાકિસ્તાની નાગરિક અહીંયા રહે છે અને તેમના દીકરાના ઘરે દીકરાનો જન્મ થઇ જાય ત્યાં સુધી પોલીસ કે આઈબી ને એક પણ વખત કોઈ ઇનપુટ કે માહિતી ન મળતા પોલીસ અને આઈબીની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.