
મંગળવારે પહેલગામ હુમલા બાદ પીએમ મોદીએ ત્રણેય સેના-પ્રમુખોને કહ્યું હતું કે તમને આતંકવાદનો સામનો કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા છે. પહેલગામ હુમલાનો યોગ્ય જવાબ આપવાનો રાષ્ટ્રીય સંકલ્પ છે.
એની પદ્ધતિ, લક્ષ્ય અને સમય સેના નક્કી કરે. અમને સેનાની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે. પીએમ મોદીએ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ સાથે દોઢ કલાકની બેઠક કરી.રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવત દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ મંગળવારે ગૃહ મંત્રાલયમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), સરહદ સુરક્ષા દળ (BSF), કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) અને સશસ્ત્ર સીમા બળ (SSB)ના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક બુધવારે સવારે 11 વાગ્યે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકની અધ્યક્ષતા કરશે. પહેલગામ હુમલા પછી આ પહેલી કેબિનેટ બેઠક છે.ભારતે મંગળવારે પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફના X હેન્ડલને બ્લોક કરી દીધું. પહેલગામ હુમલા પછી ખ્વાજા આસિફનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેણે સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદી સંગઠનોને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. સોમવારે ભારતે 17 પાકિસ્તાની યુટ્યૂબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
આજે ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલા અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપી. ગુપ્તચર એજન્સીઓનાં સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનના ભૂતપૂર્વ એસએસજી કમાન્ડર હાશિમ મૂસા છે. મૂસા હાલમાં લશ્કર-એ-તૈયબા માટે કામ કરી રહ્યો છે.
લશ્કરે જ તેને જમ્મુ અને કાશ્મીર મોકલ્યો હતો, જેથી તે સુરક્ષા દળો અને બિન-કાશ્મીરીઓ પર હુમલા કરી શકે. મૂસાએ ઓક્ટોબર 2024માં ગાંદરબલના ગગનગીરમાં હુમલો કર્યો હતો. આમાં ઘણા કામદારો અને એક સ્થાનિક ડૉક્ટરે જીવ ગુમાવ્યા હતા.હુમલાની તપાસ કરી રહેલી NIA સતત ઘટનાસ્થળનું પુનર્નિર્માણ કરી રહી છે. એજન્સી એવા સ્થાનિક નાગરિકોને શોધી રહી છે, જેઓ આતંકવાદીઓને મદદ કરી રહ્યા છે. 22 એપ્રિલના રોજ પહેલગામની બૈસરન ખીણમાં થયેલા હુમલામાં 26 પ્રવાસી માર્યા ગયા હતા.